અમદાવાદના દિલ્હી દરવાજા ખાતે હોમગાર્ડની હત્યા મામલે હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવેલું
દિલ્હી દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રે થયેલી હોમગાર્ડ જવાનની સરાજાહેર હત્યાનો મામલો વધુ ગરમાયો છે જેમાં પ્રારંભિક પોલીસ તપાસમાં છેડતીના કારણે એક યુગલે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું પરંતુ આજે હિન્દુ સંગઠનો દ્વારા હત્યા પાછળ છેડતી નહીં પણ MD ડ્રગ્સ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો સાથે શાહપુર અને ઘી કાંટા વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું છે જેને પગલે વહેલી સવારથી જ શાહપુર વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા હોમગાર્ડ જવાનની હત્યાના મુદ્દે એકઠા થઈને બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસે દુકાનો અને બજારો બંધ કરાવવા નીકળેલા હિન્દુ સંગઠનના નેતાઓને ડિટેઈન કર્યા હતા.
દિલ્હી દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રિના સમયે હોમગાર્ડ જવાનની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી જેમાં બદરુદ્દીન નામના શખસે મેરી બીબી કે સામને ક્યું દેખતા હૈ હોવાનું કહી હોમગાર્ડ જવાન સાથે ઝઘડો કર્યો હતો અને હોમગાર્ડ જવાન કંઈ સમજે તે પહેલા જ બદરુદ્દીને છરીથી હુમલો કરી હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળીની હત્યા નીપજાવી હતી. આ ઘટના બાદ સમગ્ર હત્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જોકે હત્યાના ગણતરીના કલાકોમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બદરૂદ્દીન અને તેની સાથે રહેલી યુવતીની અટકાયત કરી લીધી છે ત્યારે બંધના એલાનના પગલે શાહપુર અને ઘી કાંટા વિસ્તારમાં આજે મોટાભાગની દુકાનો બંધ રહી હતી.