શાહીબાગમાં અકસ્માત સર્જીને ભાગી જનાર વ્યક્તિ પોલીસ કોન્સ્ટેબલ જ નીકળ્યો!!!
શાહીબાગમાં આવેલ શિલાલેખ પાસે અકસ્માત કરી બાઇક ચાલકનું મોત નીપજાવનાર પોલીસ કોન્સ્ટેબલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જેમાં થોડા દિવસ અગાઉ દેવેન્દ્રભાઇ બાઇક લઇને કમિશનર કચેરી તરફથી સુભાષબ્રિજ તરફથી થઇને ઘરે જઈ રહ્યા હતા ત્યારે શિલાલેખ ચાર રસ્તા પાસે એક કારચાલકે પુરઝડપે ટર્ન લેતા બાઇકચાલક દેવેન્દ્રભાઇને ટક્કર મારી હતી. અકસ્માત કરનાર કારચાલક રિવરફ્રન્ટ તરફ ફરાર થઇ ગયો હતો જયારે અકસ્માતમાં બાઇકચાલક દેવેન્દ્રભાઇ સંખવાર રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરીને અકસ્માત કરનાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે.
આ મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી ત્યારે તપાસ દરમિયાન કાર પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલની હોવાનું સામે આવ્યું હતું અને અકસ્માત પણ તેમણે જ કર્યો હતો જેથી પોલીસે આરોપી દિજવિજયસિંહની ધરપકડ કરી છે. દિગ્વિજયસિંહ પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા હતા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં તેમની બદલી આવતા તે છૂટા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરક્ષા આપનારા જ નિયમોનો ભંગ કરતા હોવાથી આ ઘટનાએ અમદાવાદ શહેરમાં સુરક્ષા અને જવાબદારીના મુદ્દે ફરીથી સવાલો ઉભા કર્યા છે.