
વડનગરની પાવન ધરતી પર 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી !!!
અધ્યાત્મ, કળા અને સંસ્કૃતિનો અદ્ભૂત સંગમ ધરાવતી પાવન ભૂમિ વડનગર ખાતે આજે 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. વડનગરનાં શર્મિષ્ઠા તળાવ ખાતે યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક યોગ કર્યા હતા. વડનગરમાં કુલ 11 અલગ-અલગ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા કાર્યક્રમમાં 3000 લોકોએ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો જ્યારે તમામ 11 સ્થળો પર મળીને કુલ 8500 લોકોએ યોગાભ્યાસ કર્યો હતો ત્યારે વડનગરમાં આજના દિવસે 2121 લોકોએ એક સાથે ભૂજંગાસન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું.
આજે ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પીએમ મોદીએ વિશાખાપટનમમાં 3 લાખ લોકો અને 40 દેશના રાજદ્વારી સાથે યોગ કર્યા હતા ત્યારે આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, જે દિવસે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો તે દિવસે સૌથી ઓછા સમયમાં 175 દેશો અમારા પ્રસ્તાવ સાથે ઉભા રહ્યા હતા જ્યારે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યોગ કર્યા હતા. આ કાર્યક્રમ બાદ મકરબા તળાવ પાસે AMCના ખુલ્લા પ્લોટમાં અમિત શાહની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.